હલ્દી ઘાટી : રાણા પ્રતાપની પરાક્રમગાથા રજૂ કરતી ભૂમિ

ઉદયપુરથી પચાસેક કિલોમીટર દૂર આવેલું હલ્દી ઘાટી નામનું સ્થળ ભારતના ઈતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ભોગવે છે. મોગલ સામ્રાજ્ય સામે ભલભલા રાજા-મહારાજા માથું ટેકવતા હતા ત્યારે રાણા પ્રતાપે મસ્તક ઝુકાવવાની ના પાડી. પરિણામ? પરિણામે જે થયું એ જાણવા ચાલો હલ્દી ઘાટી..

18 જુન, 1576.

ઉત્તરેથી મોગલ સામ્રાજ્યનું સૈન્ય અને દક્ષિણેથી મેવાડના રાણા પ્રતાપના લડવૈયાઓ સામસામે આવ્યા એ જગ્યાએ સાંકડી ખીણો હતી.

લડાઈ લડવા અકબરે પોતાના સેનાપતિ રાજા માનસિંહને મોકલ્યા હતા. હાથી પર સવાર માનસિંહ, સામે ઘોડા પર સવાર રાણા પ્રતાપ. પ્રતાપના ચેતક નામના ઘોડાને હાથીની સૂંઢ આકારનું મોહરું પહેરાવાયું હતું. જેથી જંગ વખતે સામે હાથી આવે તો એને આ ઘોડો પોતાનું બચ્ચું હોવાનું લાગે. એ હુમલો ન કરે.

મોગલો પાસે હાથી મોટી સંખ્યામાં હતા. એ વચ્ચેથી રસ્તો કરતો ચેતક રાણાને આગળ લઈ જતો હતો. કેટલાક હાથીની સુંઢમાં ખડગ ભરાવેલું રખાતું હતું. એ ખડગ જેને સ્પર્શે એના શરીરના અંગો અલગ પડી જાય. ખડકનો પ્રહાર ચેતકના પાછલા પગે થયો.

સ્વામીભક્ત ચેતક ત્યાંથી ભાગ્યો. આ તરફ સેનાપતિએ રાણા પ્રતાપનો પોશાક પહેરી લીધો. તેને રાણો માનીને મોગલ સેના વ્યસ્ત રહી. એટલી વારમાં ચેતક દૂર નીકળી ગયો. પગમાંથી લોહીની ધારા વહેતી હતી, પણ જેનો માલીક શરીર પર અનેક ઘા સહન કરી શકતો હોય એ ચેતક એમ તો ક્યાંથી હાર માને?

અકબરની નજર બહુ પહેલેથી મેવાડ પર હતી, અગાઉ હુમલા પણ કર્યા હતા. પરંતુ ત્યારે મેવાડ સુરક્ષિત રહી શક્યું. મહારાણા ઉદયસિંહ (ઉદયપુરના સ્થાપક)ના અવસાન પછી પુત્ર પ્રતાપ ગાદી પર આવ્યા. 1572માં જ્યારે રાજતિલક થયું ત્યારે જ પ્રતાપને ખબર હતી કે વહેલા મોડું મોગલો સામે લડવાનું છે. માટે એ તેની તૈયારીમાં જ હતા. છેવટે એ જ થયું. બન્ને સૈન્ય સામસામે આવ્યા અને લોહીના ફૂવારા ઉડવાના શરૃ થયા. જોવાની વાત એ હતી કે મોગલ સેનાપતિ રાજા માનસિંહ હતા તો રાણાના સેનાપતિ પઠાણ હાકેમખાન હતા.

યુદ્ધની કથા તો લાંબી છે અને એ હલ્દી ઘાટીના સંગ્રહાલયમાં ફિલ્મ-શિલ્પ સ્વરૃપે દર્શાવવામાં આવે છે. માટે તેની વાત કરવાને બદલે અહીં એ સ્થળોની તસવીરો રજૂ કરી છે.

હલ્દી એટલે કે હળદરની ખીણ. જોકે હળદર જેવો કલર હવે સમય સાથે જરા બદલાયો છે. આ રસ્તો એ વખતનો નથી પરંતુ એ વખતની સ્થિતિ સમજવા માટે ઉપયોગી છે.
પીળા-હલ્દી-હળદર કલરની દીવાલ
અહીંથી નીકળતા વાહનો બોર્ડ વાંચીને એ વાત ક્યાંથી સમજી શકે કે તેઓ કઈ શૌર્યભૂમિ પરથી પસાર થઈ રહ્યા છે.
સાડા ચાર સદી પહેલા અહીં હાથી-ઘોડાની ધડબડાટી બોલી હતી, તળાવ રક્તથી ભરાયું હતું અને છેવટે વિસ્તારને રક્ત તલાઈ નામ મળ્યું હતું.
મેવાડની શાન, રાણા પ્રતાપ
મ્યૂઝિયમની બહાર ‘પાર્ક’ થયેલા રણના વાહન!
રાણા પ્રતાપ સ્મારક અને ત્યાં મુકવામાં આવેલી સૂચના ભારતની તાસીર રજૂ કરે છે.
મ્યૂઝિયમમાં શું છે?
રાણા પ્રતાપના અડિખમ યોદ્ધાઓ
અને રાણા પ્રતાપ એટલે કોણ તેનો ટૂંકો પરિચય
મ્યૂઝિયમમાં રજૂ થતી ફિલ્મ આઠ-દસ મિનિટમાં ઇતિહાસ સમજાવી દે છે.
વિવિધ શિલ્પો-ચિત્રો ઈતિહાસને વધારે સ્પષ્ટ કરે છે.
યુદ્ધમાંથી બહાર નીકળ્યા પછી ઊર્જા મેળવવા માટે દેશી પદ્ધતિથી નીકળતો શેરડીનો રસ પી શકાય
બાળકોને યુદ્ધમાં રસ ન પડે એટલે એમના માટે તૈયાર કરવામાં આવેલું અલગ પ્રકારનું મેદાન-એ-જંગ
ઘોડા પર સવાર પ્રતાપ, હાથી પર સવાર માનસિંહ અને ખેલાયેલા યુદ્ધનું એ દૃશ્ય
ચેતકે જ્યાં પ્રાણનો ત્યાગ કર્યો હતો ત્યાં તેની સમાધિ બનાવાઈ છે.
જ્યાં ખરેખર યુદ્ધ થયું હતું એ સાકડા ખીણ વિસ્તાર, મેદાનમાં હવે જંગલ ઉગી ચૂક્યું છે. મોટા ભાગના લોકો હલ્દી ઘાટીના મ્યુઝિયમ અથવા રસ્તાને યુદ્ધનું સ્થળ માની લે છે. યુદ્ધ ખેલાયું હતું ત્યાં જવાનું પણ અઘરું છે.
અને જો જવું જ હોય તો પછી ત્યાં આવો રસ્તો છે. અમે થોડે સુધી જવાનો પ્રયાસ કર્યો.. આગળ જંગલ વધારે અવાવરૃ થતું જાય છે.
એક સમયે પ્રવાસીઓ આ રીતે સાંકડી ગલિયારીમાંથી પસાર થઈ શકતા હતા. અહીં જ મોગલ સેનાને ઘેરી લેવાઈ હતી. એ સમયે ખીણ વધારે ઊંડી હતી, સમય જતાં બુરાઈ ગઈ છે.

waeaknzw

Gujarati Travel writer.

One thought on “હલ્દી ઘાટી : રાણા પ્રતાપની પરાક્રમગાથા રજૂ કરતી ભૂમિ”

  1. આ સ્થળ મુલાકાત લીધેલી છે, ઇતિહાસ સમજવા માટે સારી જગ્યા છે. જો કે 2017 માં એવા સમાચાર વાંચ્યા હતા કે રાજસ્થાન સરકાર ઇતિહાસ બદલી ને રાણા પ્રતાપ ને આ યુદ્ધ ના વિજેતા જાહેર કરવાની તૈયારી માં છે. https://www.hindustantimes.com/india-news/rajasthan-to-rewrite-history-books-maharana-pratap-defeated-akbar-in-haldighati/story-XCSutwgOCKjkPezLaENf4J.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *