Travel Shopping : ભારતના તમામ રાજ્યોમાંથી ખરીદવા જેવી સ્થાનિક, કલાત્મક, યાદગીરીરૃપ, આત્મનિર્ભર ચીજો કઈ કઈ છે?

વૈવિધ્યતાથી ભરેલા આપણા દેશના દરેક ખુણામાં કોઇને કોઇ ખાસિયત વાળી વસ્તુ મળે છે. જેની સાથે જે તે વિસ્તારની સંસ્કૃતિ અથવા તો ત્યાંના કારીગરોની કળા જોડાયેલી છે. જ્યારે આપણે આવી કોઇ ખરીદી કરીએ છીએ ત્યારે ત્યાંના સ્થાનિક કારીગરોને આજીવિકા મળે છે અને પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળે છે. ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી મિઝોરમ સુધી આવી અનેક વસ્તુઓ મળે છે. આ વસ્તુઓ જે તે રાજ્યની ઓળખ સમાન પણ છે. ત્યારે આવો જાણીએ દેશના અલગ અલગ રાજ્યમાં પ્રવાસે ગયા હોઇએ તો ત્યાંથી શું ખરીદી શકાય?

1. આંધ્ર પ્રદેશ

શું ખરીદવું? – બુદીથી બ્રાસઓવર

ક્યાંથી ખરીદીવું? – કલંજલી કલા અને શિલ્પ, નંપલ્લી, હૈદરાબાદ– લોપાક્ષી હસ્તકલા એમ્પોરિયમ, ગન ફાઉન્ડ્રી, હૈદરાબાદ

આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં બુદીથી નામનું ગામ આવેલું છે. આ ગામમાં બુદીથી કલા સદીઓથી ચાલી આવે છે. અલગ અલગ ધાતુઓના મિશ્રણમાંથી હાથ વડે શિલ્પકારીનો સામાન બનાવવામાં આવે છે. જે સુંદરની સાથે મજબૂત પણ હોય છે. આ બધી વસ્તુઓ એટલી સુંદર હોય છે કે તમે તેના પરથી નજર નહીં હટાવી શકો. પોતાની આ પિતળ કળાના કારણે બુદીથી ગામ લોકપ્રિય છે.

2. અરુણાચલ પ્રદેશ

શું ખરીદવું?– હાથબનાવટનો લાકડા અને વાંસનો સામાન

ક્યાંથી ખરીદીવું? –હસ્તશિલ્પ કેન્દ્ર, મેન ટાઉન, તવાંગ

અરુણાચલ પ્રદેશના અડધા કરતા પણ વધારે ભાગમાં જંગલો અને વાંસના ઉપવનો આવેલા છે. જેથી આ રાજ્યમાં લાકડામાંથી હસ્તકલા વડે બનાવેલો સામાન અને વાંસનો સામાન વધારે જોવા મળશે. વાંસની ટોપલીઓ, લાકડાના ઘરેણા, ફોટો ફ્રેમ, નકશી કામ કરેલા લાકડના વાસણ, પ્રતિકૃતિઓ વગેરે ઘણી બધી વસ્તુઓ હશે જે તમે ખરીદી શકો છો.

3. અસમ

શું ખરીદવું?– અસમની ચા

ક્યાંથી ખરીદીવું? –અમલગમેટેડ પ્લાંટેશંસ, ગુવાહાટી – શિલોંગ રોડ, ગુવાહાટી – બરુઆનગર ચા એસ્ટેટ્સ, ઇટી હાઉસ, ચંદમરી, ગુવાહાટી

અસમનું નામ આવતાની સાથે જ આપણા મગજમાં ચાનો જ વિચાર આવે. એવું કહેવામાં આવે છે કે અસમની ચા પીને જે વ્યક્તિ ના જાગે, તે ક્યારેય જાગી નથી શકતા. અસમની ચા તો આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. આપણા માટે ચાનો એક જ પ્રકાર છે, જો કે હકીકતમાં એવું નથી. તમે અસમ જશો તો ખ્યાલ આવશે કે કેટલા પ્રકારની અને કઇ કઇ કિંમતની ચા હોય છે. જેમાંથી તમને પસંદ આવે તે ચા ખરીદતા આવજો.

4. બિહાર

શું ખરીદવું?– મધુવની ચિત્રકલા

ક્યાંથી ખરીદીવું? –ખેતાન બજાર, બિડલા મંદિર રોડ, બકરગંજ, પટના – પટના બજાર, ગાંધી મેદાન પાસે, અશોક રાજપથ, પટના

બિહારના મિથિલા ક્ષેત્રની મધુવની ચિત્રકલા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. સદીયોથી આ વિસ્તારના લોકો આંગળીઓ, બ્રશ, વૃક્ષોની ડાળીઓ તેમજ અન્ય વસ્તુઓના ઉપયોગથી ચિત્રો બનાવે છે. ચિત્રોના માધ્યમથી વિવિધ સંદેશા પણ આપવામાં આવે છે. મધુવની ચિત્રકલાની ઘણા બધા પ્રકારો પ્રચલિત છે. જેમાં ભરતની, કાચની, તાંત્રિક, કોહબર વગેરેનો સમાવેશ થાય છે. જેમાંથી એકાદ ચિત્ર તમારા ઘરની શોભામાં વધારો કરશે.

5. છત્તીસગઢ

શું ખરીદવું?– ટેરાકોટા માટીમાંથી બનેલી મૂર્તિ અને વાસણ

ક્યાંથી ખરીદીવું? –બસ્તર ટ્રાઇબલ આર્ટ, બાલાજી ભવન સિનેમા લાઇન, રાજનાંદગામ, છત્તીસગઢ – સહજ ઇમ્પેક્સ, એમઆઇજી – 1303, સીજી, કુરુદ, ભિલાઇ, છત્તીસગઢ

છત્તીસગઢમાં ટેરાકોટા માટીમાંથી બનેલા વાસણો આદિવાસી રીતી રિવાજ, સંસ્કાર અને સંસ્કૃતિને સુંદર રીતે રજુ કરે છે. અહીંની કલાકૃતિઓ સુખ, દુઃખ, ક્રોધ, ખુશી, ઉદાસી વગેરે ભાવનાઓને દર્શાવે છે. છત્તીસગઢના બસ્તર જિલ્લામાં જે ટેરાકોટા મળે છે, તેની મૂર્તિઓ ઘણી પ્રસિદ્ધ છે. જેને તમે યાદગીરી રુપે ખરીદી શકો છો.

6. ગોવા

શું ખરીદવું?– નારીયેળમાંથી બનેલી કલાકૃતિ

ક્યાંથી ખરીદીવું? –અંજુના કી બુધવાર ફ્લી માર્કેટ – કૈલુંગટ માર્કેટ સ્કેવર

ગોવા આમ તો બીચ અને દરિયા માટે જાણીતું છે. જો કે ત્યાંના સ્થાનિક માર્કેટ ઘણા આકર્ષક હોય છે. આ માર્કેટમાં તમને નારીયેળમાંથી બનેલી ચિત્ર વિચિત્ર કલાકૃતિઓ, નારીયેળના છાલામાંથી બનેલી બોટલ, બિયર મગ, સ્ટોરેજ પાઉચ, સિગારેટ મૂકવા માટેની ડબ્બી વગેરે અનેક વસ્તુઓ મળશે. આ તમામ વસ્તુઓ નારીયેળમાંથી જ બનાવવામાં આવે છે. આમાંથી જે પસંદ આવે તેને તમે ઘર માટે લઇ શકો છો.

7. ગુજરાત

શું ખરીદવું?– કાચના સુશોભન વાળી વસ્તુઓ

ક્યાંથી ખરીદીવું? –લો ગાર્ડન માર્કેટ, નેતાજી રોડ, અમદાવાદ – સિંધી માર્કેટ, રેવડી બજાર, કાળુપુર, અમદાવાદ

ગુજરાતમાં કાચનું કામ કળાના સ્વરુપમાં ઘણી બધી વસ્તુઓ પર જોવા મળશે. ચણિયા ચોળી, તકીયા, રુમાલ, ડબ્બા, તોરણ લટકણ વગેરે પર કાચના નાના ટુકડા લગાવીને આકર્ષક બનાવવામાં આવે છે. આ સિવાય ભરતકામ અને કાચના મિશ્રણ વડે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ ઓળખ સમાન દિવાલ પર લગાવવાની વસ્તુઓ પણ મળી રહેશે. જે તમને ગુજરાત પ્રવાસની યાદ અપાવતા રહેશે.

8. હરિયાણા

શું ખરીદવું?– લાકડામાંથી બનેલો હસ્તકલાનો સામાન

ક્યાંથી ખરીદીવું? –મોહનજોદારો, બી 20, સુપર માર્કેટ, ગુરુગ્રામ – મોરા તારા, ગેલેક્સી હોટલ, સેક્ટર 15, ગુરુગ્રામ નજીક

હરિયાણામાં તમને સારી ગુણવત્તા વાળો હસ્તકલાનો સામાન મળશે. જેના પર નકશી કામની સાથે પિતળની કારીગરી થયેલી હોય છે. પશુ પક્ષીઓની મૂર્તિ, મિણબતી સ્ટેન્ડ, ઘરેણા રાખવાના બોક્સ, ફોટો ફ્રેમ અને બીજુ ઘણું બધુ.

9. હિમાચલ પ્રદેશ

શું ખરીદવું?– કુલ્લૂ ટોપી

ક્યાંથી ખરીદીવું? –મોલ રોડ, શિમલા, હિમાચલ પ્રદેશ – ખાદી ગ્રામોદ્યાગ એમ્પોરિયમ, અખરા બજાર, કુલ્લુ

કુલ્લૂ ટોપી હિમાચલ પ્રદેશની ઓળખ સમાન છે. આ ટોપી હિમાચલ પ્રદેશની અલગ અલગ જાતિઓના પારંપરિક પરિવેશનો એક ભાગ છે. કુલ્લૂ ઘાટીના તમામ લોકો આ પારંપરિક ટોપી બનાવવાના કામ સાથે સંકળાયેલા છે. જૂની પરંપરા અને રિવાજને જાળવી રાખવા માટે આજે પણ આ ટોપીને હાથ વડે બનાવવામાં આવે છે.

10. ઝારખંડ

શું ખરીદવું?– પિત્તળની મૂર્તિઓ

ક્યાંથી ખરીદીવું? –પુસ્તક બજાર, અપ્પર બજાર, રાંચી

ઝારખંડ પોતાની બ્રોસ મેટલની કામગીરી માટે ખૂબ પ્રસિદ્ધ છે. જેના માટે પહેલા પિતળને પિગાળવામાં આવે છે અને બાદમાં અલગ અલગ સ્વરુપે ઢાળવામાં આવે છે. જેમાંથી દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવવામાં આવે છે.

11. કર્ણાટક

શું ખરીદવું?– મૈસૂર સિલ્ક

ક્યાંથી ખરીદીવું? –મૈસૂર સિલ્ક ઉદ્યોગ, કાલિદાસા રોડ, વાણી વિલાસ મોહલ્લા, મૈસૂર – મૈસૂર સાડી ઉદ્યોગ, જુમા મસ્જિદ રોડ એવન્યુ રોડ, બેંગ્લોર

આખા ભારતમાં જે 14 હજાર મેટ્રિક ટન રેશમનું ઉત્પાદન થાય છે. જેમાંથી નવ હજાર મેટ્રિક ટન મલબારી એટલે કે શહતૂતના કીડાનું રેશમ એકલા કર્ણાટકમાંથી જ આવે છે. કર્ણાટકમાં મૈસૂરનું રેશમ પોતાની બેનમૂન કારીગરી, વણાટ અને કોમળતા માટે જાણીતું છે.

12. કેરળ

શું ખરીદવું? –કથકલી મુખૌટા

ક્યાંથી ખરીદીવું? –ચાલાઇ બજાર, ચાલાઇ, તિરુવનંતપુરમ, કેરળ – સરવા, શંકર રોડ, સસ્થમંગલમ તિરુવનંતપુરમ

ભારતના પારંપરિક લોકપ્રિય નૃત્યમાંથી એક એવું કથકલી નૃત્ય કેરળમાં ઉદ્ભવ્યુ છે. આ નૃત્ય કેરળના ઇતિહાસ અને પરંપરાની વાતો રજૂ કરે છે. વિસ્તૃત શૈલી સાથે સાથે કથકલી નૃત્ય પોતાના મેકઅપ, જટિલ વેશભુષા અને મુખૌટા માટે પણ જાણીતું છે.

13. મધ્ય પ્રદેશ

શું ખરીદવું? – ધુર્રિ (ગાલીચા)

ક્યાંથી ખરીદીવું? –ચોક બજાર, ઇબ્રાહિમપુરા, પીયર ગેઇટ, ભોપાલ –  પંચવટી બજાર, ડીઆરએમ આરડી, સેક્ટર 3 શક્તિનગર, સાકેત નગર, ભોપાલ

ભારતમાં ધુર્રિ મોટા સૂતરના બનેલા એક ગાલીચાને કહેવામાં આવે છે. મધ્ય પ્રદેશના મજબૂત અને રંગબેરંગી ગાલીચાઓ દેશભરમાં લોકપ્રિય છે. આ ગાલીચાની ડિઝાઇન પણ સુંદર હોય છે.

14. મહારાષ્ટ્ર

શું ખરીદવું? –  કોલ્હાપુરી ચપ્પલ

ક્યાંથી ખરીદીવું? –સ્ટેટ એમ્પોરિયમ, વર્લ્ડ ટ્રેડ સેન્ટર, કફ પરેડ, મુંબઇ

મહારાષ્ટ્રની કોલ્હાપુરી ચપ્પલ પોતાના પારંપરીક ચપટા ડિઝાઇન અને કારીગરી માટે પ્રસિદ્ધ છે. મહિલા અને પુરુષ બંને માટે અલગ અલગ રંગ અને ડિઝાઇનમાં આ ચપ્પલ ઉપલબ્ધ છે.

15. મણિપુર

શું ખરીદવું? –મેખલ-ચાદર (એક પ્રકારની સાડી)

ક્યાંથી ખરીદીવું? –ખયરમબંદ બજાર, તંગલ બજાર, ઇમ્ફાલ, મણિપુર

મણિપુર પ્રવાસ પરથી પરત ફરતી વખતે તમે ત્યાંથી મેખ્લા-ચાદરની ખરીદી કરી શકો છે. મેખલા-ચાદર મણિપુરની મહિલાઓ માટેનો પારંપરિક પોશાક છે.

16. મેઘાલય

શું ખરીદવું? – વાંસની ચટાઇ

ક્યાંથી ખરીદીવું? –લ્યૂડૂ (બડા બજાર), શિલોંગ

મેઘાલયની જે વસ્તુઓ પ્રસિદ્ધ છે, તેમાં વાસમાંથી બનાવવામાં આવેલી ચટાઇનો સમાવેશ થાય છે. જેને ત્યાંની સ્થાનિક ભાષામાં ત્લિએંગ પણ કહેવામાં આવે છે. આ ચટાઇ પોતાની મજબૂતી માટે ઘણી પ્રસિદ્ધ છે, જે લાંબા સમય સુધી ટકાઉ છે.

17. મિઝોરમ

શું ખરીદવું?- પુઅનનું કાપડ

ક્યાંથી ખરીદીવું? –બડા બજાર, આઇવોલ, મિઝરોમ

પુઅન એક કાપડનું નામ છે, જેને મણિપુરની મીજો કુકી જાતિના લોકો દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ કાપડ અલગ અલગ પ્રકારની ડિઝાઇન અને પ્રકારમાં વર્ગીકૃત હોય છે. જેમ કે પુંડમ,તાહ લોહ પુઆન અને પુંચેસી.

18. નાગાલેન્ડ

શું ખરીદવું? – નાગા શાલ

ક્યાંથી ખરીદીવું? –માઓ માર્કેટ, કોહિમા, નાગાલેન્ડ– જસોકી માર્કેટ જીએસ રોડ, મારવારી પટ્ટી, દીમાપુર, નાગાલેન્ડ

નાગાલેન્ડ જવાનું થાય તો ત્યાંની શાલ અવશ્ય ખરીદી કરજો. નાગાલેન્ડની શાલ ઘણી પ્રસિદ્ધ છે. ઉનની શાલ તેમજ પોર્ક ડિશેઝ પ્રકારની શાલ અહીં ઉત્તમ પ્રકારની હોય છે.

19. ઓડિશા

શું ખરીદવું?–પત્તચિત્ર ચિત્રકલા

ક્યાંથી ખરીદીવું? –શાહિદ નગર બજાર, ભુવનેશ્વર – બાપૂજી નગર બજાર, ભુવનેશ્વર

પત્તચિત્રકી કલાનો ઇતિહાસ જોઇશું તો તમને આ કલાના અંશ ઇ.સ. પૂર્વે પાંચમી સદીમાં જોવા મળશે. આ ઓડિશા રાજ્યની ઘણી જૂની પારંપરિક કળા છે. જેમાં કાપડ પર ચિત્ર દોરવામાં આવે છે. આ કળાનું ઐતિહાસિક મહત્વ જોતા પત્તચિત્ર કળાની ખરીદીને લાલવું એટલે કે ઓડિશાના ઇતિહાસને સાથે લઇને આવવું.

20. રાજસ્થાન

શું ખરીદવું?– મીનાકારી આભૂષણ

ક્યાંથી ખરીદીવું? –જૌહરી બજાર રોડ, રામગંજ બજાર, જયપુર – બાપૂ બજાર, જયપુર

આમ તો રાજસ્થાનની અનેક વસ્તુઓ પ્રસિદ્ધ છે. આ બધામાં રાજ્સ્થાનમાં મળતા મીનાકારી આભૂષણ ખાસ છે. આ આભૂષણ પોતાની અનોખી ડિઝાઇન અને ઝીણા નકશી કામ માટે જાણીતા છે.

21. સિક્કિમ

શું ખરીદવું? – થાંગકા

ક્યાંથી ખરીદીવું? –કંચનંગા શોપિંગ કોમ્પલેક્સ, એમજી માર્ગ, વિશાલ ગોન, ગંગટોક, સિક્કિમ

થાંગકાને તાંગકા, ટંકા અથવા તો થંકા પણ કહેવામાં આવે છે. આ એક પ્રકારની તિબેટીયન બૌદ્ધ ચિત્રકળા છે, જેને કપાસ અથવા તો રેશમના કાપડ પર ઉતારવામાં આવે છે. સામાન્ય રીતે આ ચિત્રકળા દ્વારા બૌદ્ધ દેવતાઓ, દ્રશ્યો વગેરે દર્શાવવામાં આવે છે.

22. તામિલનાડુ

શું ખરીદવું?– તંજૌર પેઇન્ટિંગ

પૈરાજ કોર્નર, મીનાંબલ સાલઇ, કન્નદાસન નગર, કોડુંગયૂર, ચેન્નઇ – ટી નગર, રંગનાથન સટ્રીટ, ચેન્નઇ

તંજોર ચિત્રકળા એ તામિલનાડૂના તંજાવૂર શહેરની સ્થાનિય કળા છે. જેના મૂળીયા ચોલવંશના શાસનમાં રહેલા છે. તંજોર ચિત્રકળા સમૃદ્ધ રંગ, બાહરી સમૃદ્ધી અને ઝીણવટ ભર્યા કામ માટે પ્રસિદ્ધ છે. તંજોર ચિત્રકળા કિંમતી પથ્થરો, કાચના ટૂકડા અને સોના વડે સુશોભિત કરવામાં આવે છે. સાથે આ ચિત્રને 3ડી ઇફેક્ટ પણ આપવામાં આવે છે.

23. તેલંગણા

શું ખરીદવું?– મોતી

ક્યાંથી ખરીદીવું? –પુંજગુટ્ટા ક્રોસ રોડ, રોડ નંબર 2, બંજારા હિલ્સ, હૈદરાબાદ – શાંગરીલા પ્લાઝા, હૈદરાબાદ

તેલંગણામાં મોતીના આભુષણો અને સુશોભનની વસ્તુઓ ઘણી સુંદર અને બેનમુન જોવા મળે છે. ખાસ કરીને મોતીમાંથી બનેલા આભૂષણો ત્યાંની ઓળખ સમાન છે.

24. ઉત્તર પ્રદેશ

શું ખરીદવું?–તાજમહેલ

ક્યાંથી ખરીદીવું? –આગ્રા બજાર, જામા મસ્જિદ, આગ્રા – સદર બજાર, આગ્રા કૈંટ રેલ્વે સ્ટેશન, આગ્રા

આગ્રાનો તાજમહેલ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, જેનો સમાવેશ દુનિયાની અજાયબીમાં થાય છે. જેને જોવા માટે દુનિયાભરના લાખો લોકો દર વર્ષ આવે છે. ત્યારે જો તમે ઉત્તર પ્રદેશના પ્રવાસે જાવ ત્યારે ત્યાં મળતી તાજમહેલની નાની પ્રતિકૃતિઓ લઇ શકો છો. જે બેનમૂન તાજમહેલ જેવી જ હોય છે.

25. ઉત્તરાખંડ

શું ખરીદવું? – નાકની નથ

ક્યાંથી ખરીદીવું? –પલ્ટન બેજાર, દેહરાદૂન – મોલ રોડ, નૈનીતાલ

ભારતની મોટાભાગની મહિલાઓ નાકમાં નથ પહેરે છે. જે ભારતીય સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે. ઉત્તરાખંડની નથ આકારના લીધે પણ આકર્ષક લાગે છે. જો કે વર્તમાન સમયે આ નથના કારીગરો ઓછા છે. આમ છતા ઉત્તરાખંડમાં સરળતાથી મળી રહે છે.

26. પિશ્ચિમ બંગાળ

શું ખરીદવું? –લાલ પાડ સાડી

ક્યાંથી ખરીદીવું? –ન્યૂ માર્કેટ એરિયા, ધર્મતાલ, તલ્ટાલા, કોલકાતા – ગ્યાહાયત બજાર, કોલકાતા

લાલ પાડ સાડી પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. પશ્ચિમ બંગાળ જશો તો તમને મહિલાઓ આ સાડીમાં જોવા મળશે. મહિલાઓ માટેનો આ પારંપરિક પોશાક છે. ખાસ કરીને દુર્ગાપૂજા દરમિયાન તમને આ સાડી વધારે જોવા મળશે.

27. જમ્મુ અને કાશ્મીર

શું ખરીદવું? – કાલીન અને પશ્મીના શાલ

ક્યાંથી ખરીદીવું? –જમ્મુમાં રઘુનાથ બજાર, હરિ માર્કેટ અને વીર માર્ગ – કાશ્મીરમાં લાલ ચોક અને રેજીડેંસી રોડ

જમ્મુ કાશ્મીરમાંથી જો તમે કંઇ ખરીદવા માંગો છો તો ત્યાં પશ્મીના શાલ અને કાશ્મીરી શાલ સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે. કાશ્મીરનું પશ્મીના ઉન બકરીઓની ચાર અલગ અલગ પ્રજાતિઓમાંથી મળે છે. આ બકરીઓની ઉનમાંથી પશ્મીનાની ખાસ શાલ બનાવવામાં આવે છે. કાશ્મીરની આ શાલ દૂનિયાભરમાં વખણાય છે.

28. પંજાબ

શું ખરીદવું?–ફુલકારી દુપટ્ટા

ક્યાંથી ખરીદીવું? –રૈનક બજાર, જાલંધર – શાસ્ત્રી માર્કેટ, ચંદીગઢ

ફુલકારી પંજાબની સભ્યતા અને સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે. ફુલકારી શબ્દનો અર્થ ફૂલનામા કઢાઇ થાય છે. કઢાઇ આકર્ષક રંગો દ્વારા સરળ રીતે કપડા પર કરવામાં આવે છે, જે દેખાવમાં આકર્ષક લાગે છે. કઢાઇ કરેલા ડ્રેસ, શાલ, દુપટ્ટા, જેકેટ અને સાડી ખરીદીને લાવો અને પંજાબ પ્રવાસની યાદગીરી સાચવો.

29. ત્રિપુરા

શું ખરીદવું?– વાંસ મૂર્તિકળાનો સામાન

ક્યાંથી ખરીદીવું? –ઉષા બજાર, હરિ ગંગા બસક રોડ, બટ્ટાલા, અગરતલા – બામુતિયા માર્કેટ, બામુતિયા, ત્રિપુરા

ત્રિપુરાની હાથ વડે બનાવેલી મૂર્તિઓ પોતાના સૌંદર્ય, લાલિત્ય અને ડિઝાઇન માટે દૂનિયાભરમાં જાણીતી છે. વાંસમાંથી બનાવવામાં આવતી આવી શિલ્પકારીની વસ્તુમાં તમને વિશાળ પસંદગી પણ મળે છે. જેમાંથી તમે કોઇ મનપસંદ વસ્તુ ખરીદી શકો છે.    

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *